છત્તીસગઢ રાજ્યના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો IED હુમલો કર્યો હતો. આ બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે. જ્યારે 8 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યો હતો. સુરક્ષાદળોએ નક્સલ પ્રભાવિત વિસ્તારો જેમાં કે, દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. બપોરે 2.15 વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દેતા તેમાં સવાર સૈનિકો શહદી થયા હતા.
કેવી રીતે બની ઘટના ?
નક્સલવાદીઓએ બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટમાં 8 ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત 9 જવાન શહીદ થયા છે. છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ રમન સિંહે બીજાપુર IED બ્લાસ્ટ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, ‘જ્યારે-જ્યારે નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશન હાથ ધરાય છે, ત્યારે આ નક્સ્લીઓ આ પ્રકારની કાયરતાભર્યું અને પીઠ પાછળ હુમલો કરતાં હોય છે. નક્સલવાદ વિરૂદ્ધ છત્તીસગઢ સરકાર જે પગલાં ઉઠાવી રહ્યા છે. તેને હવે વેગવાન બનાવાશે. સરકાર ડરશે કે ઝુકશે નહીં. તેમની વિરૂદ્ધ આકરી કાર્યવાહી ચાલુ રાખશે.’
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરૂણ સાવે આઈઈડી બ્લાસ્ટને વખોડતાં જવાનોની શહાદત નિષ્ફળ નહીં જાય તેનું વચન આપતાં કઠોર પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સુરક્ષા દળોની શહાદત પર શોક વ્યક્ત કર્યો હતો.છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર કરાયા હતા. તેમના મૃતદેહનો કબજો પણ સુરક્ષા દળોએ લઈ લીધો હતો.
આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-47 અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતાં. 26 એપ્રિલ, 2023માં દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળોને લઈ જતાં વાહનને નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવી દેતાં દસ પોલીસ કર્મી અને ડ્રાઈવર શહીદ થયા હતા. મહત્વનું છે છત્તીસગઢના દંતેવાડામાં થોડા સમય પહેલા પણ IED બ્લાસ્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓ સામે છેલ્લાં કેટલાક સમયથી કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ નક્સલવાદીઓનો ખાતમો થઈ રહ્યો નથી.આ બધાં વચ્ચે ફરી IED બ્લાસ્ટ થતાં 9 જવાન શહીદ થયા છે.આ ઘટના બાદ સેનાના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ટન કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.