શનિવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અહીં સેનાનું વાહન ખીણમાં પડી જતા બે જવાન શહીદ થયા હતા..જ્યારે ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે શ્રીનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે એસકે પાયેન પાસે બાંદીપોરા-શ્રીનગર રોડ પર સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બાંદીપોરા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ સૈનિકોને સારી સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા.

24 ડિસેમ્બરના અકસ્માતમાં 5 જવાનો શહીદ થયા હતા
આ પહેલા પણ 24 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા હતા.
31મી ડિસેમ્બરે પણ માર્ગ અકસ્માત થયો હતો
બરાબર ચાર દિવસ પહેલા એટલે કે 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂંછ જિલ્લાના મેંધરમાં એલઓસી નજીક બાલનોઈ વિસ્તારમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના સાંજે 6 વાગે થઈ, જ્યારે સેનાનું વાહન ઘણા સૈનિકોને લઈને ઓપરેશનલ ડ્યુટી પર જઈ રહ્યું હતું. રસ્તામાં અકસ્માત સર્જાયો અને સેનાનું વાહન લગભગ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું. આ અકસ્માતમાં પણ પાંચ જવાનોના મોત થયા હતા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા.