ગુજરાતની ભાજપ સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ રદ કરીને પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી દીધી છે. તેવો આરોપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા છે. વસાવાએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટની સ્કોલરશીપ માટેનો પરિપત્ર જાહેર કરી આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ ફરી શરૂ ન કરાઈ તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા સરકારી કાર્યક્રમો યોજાશે તેનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં ચૈતર વસાવાએ આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીને પણ તાળાબંધી કરવાની ચિમકી આપી દીધી છે.
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ રદ કરાઈ છે. તે મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી. જેના થકી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ સહીત ડિગ્રી એન્જિનિયરિંગના અનેક ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી. અને આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તારીખ.28-10-2024ના રોજ પરિપત્ર જાહેર કરી આદિજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ બંધ કરી દીધી છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે. અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ અપાયા છે. તે ફ્રી શીપ કાર્ડ હવે માન્ય નથી. આ સાથે જ જે સ્વનિર્ભર કોલેજો હતી. જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્ય હતા. હવે આ કોલેજો આદિજાતિના વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે કે કાં તો તમે રોકડી રકમ ભરીને ફ્રી જમા કરાવો કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવી લો. જેના કારણે રાજ્યના 50થી 60 હજાર જેટલા આદિજાતિના વિદ્યાર્થીઓ પર આની અસર પડશે.
આ મુદ્દે ચૈતર વસાવાએ વિરોધ કરી 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી નથી. તેથી આવનાર સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દે પર રજૂઆતો કરવા જઈશું. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે, જો આ પરિપત્ર રદ કરવામાં નહી આવે અને સ્કોલરશીપ ફરીથી શરૂ નહીં કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જે પણ સરકારી કાર્યક્રમો હશે તેનો અમે વિદ્યાર્થીઓ સાથે વિરોધ કરીશું અને જરૂર પડે તો આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીને તાળાબંધી પણ કરીશું.