બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવીને જીતેલા શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપના શંકર ચૌધરી 20 ડિસેમ્બરે ઔપચારિક રીતે વિધાનસબાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવ્યા પછી નવી સરકારે શપથ ગ્રહણ કર્યા બાદ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. આ માટે 19 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યપાલ નવા ધારાસભ્યોને શપથ લેવડાવવા અને વિધાનસભા અધ્યક્ષ પસંદ કરવા માટે યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. અત્યાર સુધી ડૉ. નીમાબેન આચાર્ય વિધાનસભાના સ્પીકર હતા, પાર્ટીએ આ વખતે તેમને ટિકટ આપી નહોતી.
15મી વિધાનસભાના સ્પીકર બનવા જઈ રહેલા શંકર ચૌધરી ગુજરાતના રાજકારણમાં એક નવા પડાવ પર પહોંચ્યા છે. પૂર્વ મંત્રી રહી ચૂકેલા શંકર ચૌધરી 2017માં વાવથી ચૂંટણી હારી ગયા હતા. જેના કારણે તેઓ ગુજરાતના રાજકારણમાં હાંશિય પર હતા અને સહકારી ક્ષેત્રમાં સતત સક્રિય રહ્યા હતા. 2022ની ચૂંટણીમાં શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી પૂનરાગમન કર્યું છે, આ પછી તેમને સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી છે.