રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગત તા.૧૪ મી જાન્યુઆરી ૨૦૨૩ ઉત્તરાયણના દિવસે તાપી જિલ્લાના ૭૫ વિશેષ સ્થળો જેવા કે પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક સ્થળો ખાતે ૫૧ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામ તળાવ ખાતે કુલ ૧૨૦ જેટલા યોગસાધકો દ્વારા ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતાં. જેમાં વ્યારા તાલુકાના યોગ કોચ ઉમેશભાઈ તામસેના યોગ સાધકો અને ટ્રેનર્સ સહિત તાપી જિલ્લાના વિવિધ ટ્રેનરના યોગ સાધકોએ, વિવિધ તાલુકામાં આવેલ સાધકોએ સૂર્ય નમસ્કારનાં કાર્યક્રમમાં જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, વ્યારા નગર પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન કુલીનભાઈ પ્રધાન, તાપી જિલ્લાના કોઓર્ડીનેટર મનેશભાઈ વસાવા તેમજ વિવિધ તાલુકાના યોગ કોચ અને લીડર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદભોધન દ્વારા યોગ કરવાથી મનુષ્ય શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે એમ સમજ કેળવી હતી. ૧૨૦ જેટલા યોગસાધકોએ સૂર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઊર્જાના સ્ત્રોત ગણાતા ઊગતા સૂર્ય દેવને અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી યોગ પ્રત્યે જાગૃતિ તેમજ પ્રચાર પ્રસાર કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યારા તાલુકાના યોગ કોચ ઉમેશભાઈ તામસે દ્વારા કરવામાં આવ્યું હતું.