રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તે ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 ફૂલોની પ્રજાતિઓ છે.
આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને જનતા માટે ખોલવામાં આવે છે. 15 એકરમાં ફેલાયેલો આ બગીચો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
એક કહેવત છે કે મુગલ ગાર્ડન દેશના રાષ્ટ્રપતિ ભવનનો આત્મા છે. મુગલ ગાર્ડનનો એક ભાગ ગુલાબની વિશેષ જાતો માટે જાણીતો છે. રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડનની ડિઝાઈન અંગ્રેજ આર્કિટેક્ટ સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી.