રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. રાજ્યની 157 નગર પાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે કુલ 100 કરોડ રૂપિયા ફાળવામાં આવશે. ચોમાસામાં વરસાદને કારણે નગરોમાં માર્ગોને થયેલા નુકસાનની મારામત માટે મુખ્યમંત્રીએ શહેરી સડક યોજના અન્વયે રકમ ફાળવવા મંજૂરી આપી છે.
ચોમાસાના વરસાદના કારણે રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૧૦૦ કરોડ રૂપિયા ૧૫૭ નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે.
રૂપિયાની ફાળવણીઃ-
૧૦૦ કરોડ રૂપિયાની રકમમાંથી ‘અ’ વર્ગની ૨૨ નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા ૧ કરોડ પ્રમાણે ૨૨ કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની ૩૦ નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા ૮૦ લાખ પ્રમાણે કુલ ૨૪ કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની ૬૦ નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા ૬૦ લાખ મુજબ કુલ ૩૬ કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની ૪૫ નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા ૪૦ લાખ પ્રમાણે કુલ ૧૮ કરોડ રૂપિયા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.
નગર પાલિકાની રસ્તાની મરામતઃ-
નગર પાલિકાઓને રસ્તાના મરામત-રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાઈ હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તના સંદર્ભમાં ૧૦૦ કરોડ રૂપિયા ફાળવીને લોક સુખાકારીના કામો માટેની આગવી સંવેદના દર્શાવી છે.