14 જાન્યુઆરી એટલે કે, ઉત્તરાયણનો ઉત્સવ આ દિવસે ગુજરાતમાં અંદાજે 3 હજાર 707 ઈમરજન્સી કેસ નોધાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને ગયા વર્ષે કરતા 345 જેટલા ઈમરજન્સી કેસમાં વધારે જોવા મળે છે. સૌથી વધુ અમદાવાદમાં 732, સુરતમાં 320 કેસ નોંધાયા. રાજકોટમાં 235 કેસ, વડોદરામાં 234 કેસ, પંચમહાલમાં 134 અને દાહોદમાં 130 કેસ, ગાંધીનગરમાં 118 કેસ, વલસાડમાં 113 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં બાઈક અકસ્માતના 87 કેસ
અમદાવાદમાં ટુ વ્હીલર અકસ્માતના 87 કેસ નોંધાયા છે. કાર અકસ્માતના અમદાવાદમાં 34 કેસ નોંધાયા તથા રાજ્યમાં ઉંચાઈ પરથી પડવાના 284 કેસ નોંધાયા છે. ઉત્તરાયણ પર્વમાં પડવા, વાગવા, ઈજાગ્રસ્ત થવા જેવા ઈમરજન્સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો હોય છે. પાછલા વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે 30 ટકા ઈમરજન્સી કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરુ આયોજન કર્યું છે. જ્યારે 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે ઈમરજન્સી કેસમાં 20 ટકા વધારો થવાની સંભાવના 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પતંગની દોરીથી ઈજા થવાના કેસો વધારો
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે, સામાન્ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્માત થવાની શકયતાઓને ધ્યાને લઈને EMRI એ તૈયારી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં દૈનિક 3 હજાર લોકો 108 ની ઇમરજન્સી સેવાની મદદ મેળવે છે. સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાથી કોલ્સ વધુ આવતા હોવાનું EMRI એ જણાવ્યું હતુ. આ વર્ષે 33 જિલ્લામાંથી 8 થી 9 જિલ્લાઓમાં ઈમરજન્સીના 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ સેવવામાં આવ્યો છે. ધાબા ઉપરથી પડી જવાના, મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઈમરજન્સી મદદ માંગવામાં આવે છે.