ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. બુધવારે સુરતના વાવ (SRP) પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન 5 કિલોમીટરની દોડ લગાવી રહેલા યુવકને હાર્ટ એટેકના લીધે મોત થયું હતું. આ બધાં વચ્ચે ગુરુવારે જુનાગઢમાંથી વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પીએસઆઇની ભરતીની પરીક્ષા બાદ મિત્રને ઘરે પહોંચેલા યુવકને હાર્ટ એટેક આવતાં તે યુવક પણ મોતને ભેટ્યો હતો.
મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જુનાગઢમાં મિત્રના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા મૌલિક કિશોરભાઇ બારૈયા (ઉંમર વર્ષ 32) નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. મૌલિક પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જુનાગઢ આવ્યો હતો. શારીરિક કસોટી બાદ તે પોતાના મિત્રના ઘરે હતો, જ્યાં તેને અચાનક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો હતો અને મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તો આ તરફ બુધવારે સુરતના વાવ (SRP) ગ્રાઉન્ડ ખાતે એક કરુણ ઘટના બની હતી. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસીકભાઈ ગામીત (ઉં.વ.36) PSIની ભરતી પરીક્ષામાં હાજર રહ્યા થયા હતા. બુધવારે સવારે 4:45 વાગે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવક બેભાન થઇને ઢળી પડતાં ફરજ પરના ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ હાલત ગંભીર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક તાપી જિલ્લાના ચીખલવાવનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.