RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ હોમ લોન પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં છ મોટી બેંકોએ હોમ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ સાતમી ફેબ્રુઆરીએ RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક યોજાઈ હતી, જેમાં એમપીસીએ પાંચ વર્ષના ગાળા બાદ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. અને હવે તે ઘટીને 6.25 ટકા પર પહોંચી ગયો છે. આ દર છેલ્લા બે વર્ષથી સ્થિર હતા. રેપો રેટ ઘટ્યા બાદ મોટાભાગના હોમ લોનધારકો આશા સેવી રહ્યા છે કે, બેંક હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરશે.
દેશની આ છ બેંકોએ હોમ લોન પરના વ્યાજદર ઘટાડ્યો
કેનેરા બેંકે :-
તેનો RLLR 9.25 ટકાથી ઘટાડીને 9.00 ટકા કર્યો છે. આ નવો દર 12 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે અને 12 ફેબ્રુઆરી 2025ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ થશે. અથવા RLLR સિસ્ટમમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે.
બેંક ઓફ બરોડા:-
એ તેના બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR)ને 8.90 ટકા પર સુધાર્યો છે, જે 10 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે.
બેંક ઓફ ઈન્ડિયા:-
એ તેનો RLLR 9.35 ટકાથી ઘટાડીને 9.10 ટકા કર્યો છે. આ દર 7 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવ્યો છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા:
એ તેનો RLLR 9.25 ટકાથી ઘટાડીને 9.00 ટકા કર્યો છે. આ દર 11 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે.
ઈન્ડિયન ઓવરસીઝ બેંક:-
એ તેના RLLRમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, જે અગઆઉ 9.35 ટકા હતો અને હવે 9.10 ટકા પર લવાયો છે. આ ફેરફાર 11 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે.
પંજાબ નેશનલ બેંકે:
પણ તેના RLLRને 9.25 ટકાથી ઘટાડીને 9.00 ટકા કર્યો છે. આ દર 10 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે.
પાંચ બેસિસ પોઈન્ટમાં ઘટાડા પછી EMI કેટલો આવશે ?
ઉદાહરણ તરીકે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને મુદત 20 વર્ષ માટે હોય, તો EMI 17,356 રૂપિયા હશે, પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. તેના આધારે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.