દિલ્હી સરકારની સત્તાઓને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી 11 જૂને દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર આ રેલીમાં એક લાખથી વધુ લોકોને એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવશે. રેલીમાં સૌથી વધુ લોકો પહોંચે તે માટે તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ પાર્ટીના નેતાઓએ ઘરે-ઘરે જઈને લોકોનું સમર્થન મેળવવાનું શરૂ કરી દીધું છે.
મંગળવારે દિલ્હી સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ મેગા રેલીને લઈ ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ આ અભિયાન માટે ગ્રેટર કૈલાશ વિધાનસભાના શાહપુર જાટ વિસ્તાર પહોંચ્યા હતા. અહીં તેમણે પેમ્ફલેટનું વિતરણ કર્યું હતું અને લોકોને આ રેલીમાં ભાગ લેવાની અપીલ કરી.