તાપી જીલ્લામાં સાત સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજથી વર્તમાન સમયમાં ભાજપ સરકાર દ્વારા વિવિધ મુદ્દે આદિવાસીઓને અન્યાય કરવામાં આવી રહ્યોં હોય તેવી લાગણી સાથે વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રાઓ શરૂ કરવામાં આવી છે. જે આદિવાસી અધિકાર દિવસ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વ્યારામાં ભાજપ સરકાર આદિવાસીઓનો આવાજ સાંભળે તે માટે જીલ્લા કલેકટર કચેરીએ પહોંચી પદયાત્રાને વિશાળ જનસભામાં પરિવર્તિત કરવામાં આવનાર છે.
સમગ્ર મામલે સોમવારે ઉચ્છલ તાલુકાના યુવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ભાજપ સરકારની તાનાશાહી અને ખાનગીકરણની નીતિ સામે વિરોધ રેલી તેમજ ખાનગીકરણ બંધ કરો બંધ કરો જેવા લખાણ સાથે યાત્રામાં પ્રદર્શિત થયેલા બેનરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
દરમિયાન ઉચ્છલ તાલુકાના આદિવાસી યુવાન ભુપેન વસાવા દ્વારા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે એક વેલ્ફેર સ્ટેટમાં આરોગ્ય અને શિક્ષણની જવાબદારી સરકારની હોય છે તેવામાં સરકાર તેનું ખાનગીકરણ કરી તેને કોર્પોરેટ ને શોપી પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે જે સહેજ પણ ચલાવી શકાય નહીં , માટે સમગ્ર તાપી જીલ્લામાં આદિવાસી સમાજ ભાજપની નીતિઓ સામે પદયાત્રા સ્વરૂપે વિરોધ કરી રહ્યો છે જે લોકસભાની ચૂંટણી પહેલાં સરકારને ચેતવણી છે વિધાનસભા ચૂંટણીમા ખોબલે ને ખોબલે મત આપ્યા પછી ભાજપ પોતાના લાભ માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વિભાગોના સંસ્થાનોને હોસ્પિટલ, કોલેજો ખાનગી કરી કોર્પોરેટને શોપી જનતા તેમજ સરકાર વચ્ચેનો સેતુ તોડી રહી છે તેનું પરિણામ સરકારને જ ભોગવવું પડશે.
આદિવાસી વિસ્તારોમાં ખાનગીકરણ તેમજ જમીન સંપાદન જેવા વિષયો ઉપર ભાજપ સરકારની નીતિઓ સામે પદયાત્રામાં મોટા પાયે સ્વયંભૂ રીતે આદિવાસી સમાજ રોડ ઉપર નીકળી આવતા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે તે નક્કી છે ગુજરાત સરકાર આદિવાસીઓના વિવિધ પડતર પ્રશ્નો ઊપર ન્યાયિક નિર્ણય નહીં કરે તો તેના પરિણામ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં પડશે તે નક્કી છે.