રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનું ગોળીબારમાં મોત થયું હતું. ગેંગસ્ટર રોહિત ગોદરાએ આની જવાબદારી લીધી અને કહ્યું કે અમે આ હત્યા કરાવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘સાચા ભાઈઓને રામ-રામ, હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બ્રાર ભાઈઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા થઈ છે. ‘ અમે આની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનો સાથે સહયોગ કરતો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી.
કોણ છે રોહિત ગોદારા?
ગેંગસ્ટર રોહિત ગોદારા બિકાનેરનો રહેવાસી છે અને તે કેનેડામાં હોવાનું કહેવાય છે. ગોદારા સામે ગેંગસ્ટર રાજુ થેહતની હત્યા સહિત વિવિધ બાબતોમાં 32 કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોદારાએ રાજસ્થાનના વેપારીઓ પાસેથી 5 કરોડથી 17 કરોડ રૂપિયા ખંડણી તરીકે લીધા છે.
આ સિવાય પંજાબી સિંગર સિદ્ધુ મૂસાવાલાની હત્યામાં પણ ગોદારાનું નામ સામે આવ્યું હતું.ગત વર્ષે જૂન મહિનામાં પવન કુમારના નામે નકલી પાસપોર્ટ બનાવીને ગોદારા દુબઈ ભાગી ગયો હતો અને તેની સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી છે.
સુખદેવસિંહ ગોગામેડીની કેવી રીતે હત્યા કરવામાં આવી?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, જયપુર પોલીસ કમિશ્નર બીજુ જ્યોર્જ જોસેફે કહ્યું, “ત્રણ લોકો ગોગામેડીના ઘરે ગયા અને તેમના સુરક્ષા કર્મચારીઓને કહ્યું કે તેઓ ગોગામેડીને મળવા માંગે છે. સુરક્ષાકર્મીઓ તેને અંદર લઈ ગયા જ્યાં તેણે ગોગામેડી સાથે દસ મિનિટ વાત કરી. આ પછી તેઓએ તેમના પર ગોળીબાર કર્યો.
પોલીસે શું કહ્યું?
જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે શ્યામ નગર વિસ્તારમાં થયેલા આ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. ગોગામેડીના ઘરની બહારથી એક વ્યક્તિનું સ્કૂટર છીનવીને નાસી ગયેલા બે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.