વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય ભરમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર પૂર જોશમાં શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરેક પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યાં છે. અને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાની બે વિધાનસભાની બેઠકો પર જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવત માનને પ્રચાર માટે ઉતારવામાં આવ્યો હતો. ભગવત માન આમ આદમીના રોડ-શોમાં જોડાયા અને બંને બેઠકો પર આપના ઉમેદવાર જીત મેળવે તે માટે લોકોને આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે અપીલ કરી.
આપના પ્રચારથી ફાયદો કોને ?
આમ જોવા જોઈએ તો તાપી જિલ્લાની બંને બેઠકો પર આ વખતે ત્રિપાંખિયા જંગ છે. એક તરફ કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય સુનિલ ગામીતને રિપિટ કર્યાં છે. તો બીજી તરફ બીજેપીએ નિઝર બેઠક પર જયરામ ગામીતને ટિકિટ આપી છે. જ્યારે નિઝર બેઠક પર ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી મારી રહેલી આમ આદમી પાર્ટીને ઉતારી છે. આખરે આ ત્રિપાંખિયા જંગમાં ફાયદો કોને થશે એ મોટો સવાલ છે. વ્યારા અને નિઝર બંને છેવાડાના તાલુકા હોવાથી અંહી રાજ્યના મુખ્ય પ્રવાહો કે ગ્રોથની વાતો ભાગ્યે જ અસર કરે છે. આદિવાસીઓને તેમની સ્થાનિક સમસ્યાઓનો ઉકેલમાં વધારે રસ છે. એટલે કે જે પાર્ટી અંહી વિકાસ કરે, લોકોને રોજગારી આપે, મોંઘવારીને ઓછી કરે, તેમજ ખેડૂતોના પ્રશ્નોનુ સોલ્યુશન લાવે આ ઉપરાંત ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડે, ઉકાઈ અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા કરી આપે તેવી પાર્ટીને અંહીના લોકો પસંદ કરશે.