વિધાનસભાની ચૂંટણી બાદ નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં નંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોને કલેકટર સમક્ષ રજુ કર્યા હતા. જિલ્લા સંકલન સમિતિની મળેલી આ પ્રથમ બેઠકમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના પુર્વ મદદનીશ આદિજાતિ કમિશનર વિરૂદ્ધ ગંભીર આક્ષેપ લગાવતા ખડભળાટ મચ્યો છે.
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભુતકાળમા નર્મદા જિલ્લાના પુર્વ મદદનીશ આદિજાતિ કમિશનરે કરોડો રૂપિયાનું આદિજાતિનુ બજેટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળી સગેવગે કર્યું છે. નલ સે જલ યોજનામાં 365 યોજના પુર્ણ બતાવેલી છે પણ કોઈ પણ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી.
મનરેગા યોજનામાં નિયામકે કોઈ પણ જાહેરાત આપ્યા વગર કે ભાવ મંગાવ્યા વગર જલારામ એન્ટરપ્રાઈઝને ડાયરેક્ટ રીન્યુ કરી દઈ 70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. વન વિભાગ દ્રારા પણ ખોટા ખોટા વાવચરો બનાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. દેડીયાપાડામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કૌશલ્ય વર્ધક કેન્દ્રના કાર્યક્રમમાં “ચા” ના 1.10 કરોડ રૂપિયા, એસ.ટી નિગમને 35 લાખ રૂપિયા અને ખાનગી વાહનોને 70 લાખ રૂપિયા, મંડપવાળાને 1.19 કરોડ રૂપિયા આપ્યા હોવાનું બતાવ્યું છે.